Solar Power Prejacket in gujarat : ગુજરાત સરકાર 80 નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવશે, સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ થશે
Solar Power Prejacket in gujarat : ગુજરાત સરકાર રાજ્યની 80 નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ હેઠળ નગરપાલિકાઓમાં પમ્પિંગ સ્ટેશન, પાણી પુરવઠા યોજના અને ગટર વ્યવસ્થા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે. આ પગલાં નગરપાલિકાઓના વીજળી ખર્ચમાં ઘટાડો કરશે અને નગર વિકાસને ટકાઉ બનાવશે.
પ્રોજેક્ટનો પ્રારંભ બારેજા ગામથી
પ્રથમ તબક્કામાં, અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં 50 કિલોવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાંટ સ્થાપવામાં આવશે. રાજ્યની 80 નગરપાલિકાઓમાંથી 31 “A” શ્રેણી, 20 “B” શ્રેણી, 25 “K” શ્રેણી અને 4 “D” શ્રેણીની નગરપાલિકાઓ આ યોજનાનો હિસ્સો બનશે.
ગુજરાત વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે બારેજા નગરપાલિકા માટે કુલ 13 સ્થળોએ સૌર પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે. જેમાં 8 ટ્યુબવેલ, 4 પમ્પિંગ સ્ટેશન અને 1 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નો સમાવેશ થાય છે. બારેજાની મહિજાદા પાટિયા ખાતે ₹86.21 લાખના ખર્ચે 99 કિલોવોટ ક્ષમતાવાળું સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યું છે, જે 31 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ દર વર્ષે 1,44,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમલ
આ પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે. Gujarat Urban Development Company Limited (GUDC) અને Gujarat Water Supply & Sewerage Board (GWSSB) દ્વારા પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના માટે આ નવીન પગલાં ભરવામાં આવી રહ્યા છે.

યોજનાના મુખ્ય ઉદ્દેશો:
પંપિંગ સ્ટેશન, WTP અને STP માટે સૌર ઊર્જાનો ઉપયોગ
નગરપાલિકાઓ પર વધતા વીજ ખર્ચનો ઘટાડો
નગર વિકાસ માટે પર્યાવરણને અનુકૂળ ઉર્જાનો ઉપયોગ
સોલાર પ્લાન્ટ દ્વારા બાહ્ય વીજ વપરાશ ઘટાડીને નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવું
સૌર ઊર્જાથી ગુજરાતના શહેરોનું વિકાસ મોડલ બદલાશે
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ સૌર ઊર્જા પ્રોજેક્ટ રાજ્યની નગરપાલિકાઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે. સૌર ઊર્જાના ઉપયોગથી નગરપાલિકાઓ પોતાની જ ઊર્જા જરૂરિયાતો પૂરી કરી શકશે, જે પરિણામે લાંબા ગાળે નાણાકીય મજબૂતી અને પર્યાવરણ સ્નેહી વિકાસ શક્ય બનશે.



