Sardar Sarovar Dam and water storage: ચોમાસા પહેલાં ગુજરાતમાં 44% જળસંગ્રહ: સરદાર સરોવર અને અન્ય જળાશયો માટે સુખદ ચિહ્ન
Sardar Sarovar Dam and water storage: ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાનો આગમન થવાની તૈયારી ચાલી રહી છે. છેલ્લા વર્ષ દરમિયાન પૂરતા અને સરવાળા વરસાદની ઉપલબ્ધતાના કારણે હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 44.18 ટકા પાણી સંગ્રહિત છે. ખાસ કરીને, ગુજરાતની મહત્વપૂર્ણ સરદાર સરોવર યોજના હેઠળ હાલ આ ડેમમાં કુલ ક્ષમતા કરતા 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે, જે નાગરિકોને જરૂરી પાણી પૂરું પાડવામાં મદદરૂપ રહેશે. ગયા વર્ષે આ સમયગાળામાં આ જળાશયોનું સંગ્રહ પ્રમાણ 40.81 ટકા હતું.
રાજ્યના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકા જેટલો પાણી સંગ્રહ જોવા મળ્યો છે.
જળ સંચય અને જળ સંચાલન માટે રાજ્ય સરકારે ‘સુજલામ સુફલામ’ અને ‘નલ સે જલ’ જેવા અભિયાનો શરૂ કર્યા છે, જેનાથી ગુજરાત જળ વ્યવસ્થાપનમાં આત્મનિર્ભર બનવા માટે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનની ‘કેચ ધ રેઇન’ ઝુંબેશને વધુ મજબૂત બનાવતાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લામાં ‘કેચ ધ રેઇન-સુજલામ સુફલામ 2.0’ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરી છે.
સુરેન્દ્રનગરના ધોળીધજા અને મોરબીના મચ્છુ-3 જળાશયો 91 ટકા કરતાં વધુ પાણીથી ભરાયા છે. તેમજ કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકા, રાજકોટના ભાદર-2 માં 77 ટકા, છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકા અને રાજકોટના આજી-2 જળાશયમાં 73 ટકા પાણી ઉપલબ્ધ છે.
હાલમાં રાજ્યના 6 જળાશયો 70-100 ટકાથી, 20 જળાશયો 50-70 ટકાથી અને 71 જળાશયો 25-50 ટકાથી ભરાયેલા છે. આથી ઉનાળામાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પૂરતી સપ્લાય ચાલુ રહે છે.