Sanand Railway Overbridge : સાણંદવાસીઓ માટે ખુશખબર: ટ્રાફિકની મુશ્કેલી દૂર કરવા રેલવે ઓવર બ્રિજનું ઉદ્ઘાટન
Sanand Railway Overbridge : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદ-ચેખલા-કડી માર્ગ પર, અમદાવાદ-વિરમગામ રેલવે લાઇન પર નિર્મિત એક કિલોમીટર લાંબા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું. સાણંદ તાલુકાના નિધરાડ ગામની નજીક મુનીબાવાના આશ્રમ પાસે આવેલા રેલવે ફાટક પર આ ઓવરબ્રિજનું નિર્માણ થયું છે.
સાણંદ તાલુકાને કડી અને ગાંધીનગર સાથે જોડતા આ ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને સાણંદના ઉદ્યોગો તથા ફેક્ટરીઓ માટે માલસામાનના પરિવહનમાં સરળતા આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના મામલે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ ભારત માળખાકીય વિકાસમાં વિશ્વનું નંબર વન દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશ પાસે વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક, ત્રીજું મેટ્રો નેટવર્ક અને ચોથું રેલ નેટવર્ક છે.
કેન્દ્રીય મંત્રી એ ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઈવે પરના છારોડી જંકશન નજીક એક નવા બ્રિજ અને નર્મદા કેનાલ પર ચારમાર્ગીય બ્રિજના ઈ-ખાતમુહૂર્તનું પણ આયોજન કર્યું. ઉપરાંત, કલોલ તાલુકાના મોટીભોયણ-વાંસજડા-વામજ માર્ગની રીસરફેસિંગ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
નાગરિકોને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ભારતમાં ફોર લેન હાઈવેની સંખ્યા અઢી ગણીએ વધી છે. દેશ દરરોજ સરેરાશ 36.5 કિમી લાંબા નવા રોડ બનાવી રહ્યો છે અને હાઈવે નેટવર્કમાં 60% વૃદ્ધિ નોંધાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાણંદ-કલોલ જેવા નગરોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. સાણંદમાં ભારત સરકાર 500 બેડની હોસ્પિટલ બનાવવા જઈ રહી છે, જ્યારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મોટી સિવિલ હોસ્પિટલ અને કલોલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થશે.