Rahul Gandhi Visit Gujarat : ‘રેસના ઘોડા’ અને ‘જાનના ઘોડા’ અલગ કરાશે: કોંગ્રેસમાં નવી ભૂમિકા અને જવાબદારી
Rahul Gandhi Visit Gujarat : ગુજરાતમાંથી કોંગ્રેસના “સંગઠન સૃજન અભિયાન” ની શરૂઆત થઈ છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરે સંગઠનને સશક્ત બનાવવાનો નિર્ધાર રાખી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલે અમદાવાદ આવ્યા હતા. પોતાની મુલાકાત દરમિયાન રાહુલે તમામ નિરીક્ષકોને જવાબદારી સોંપી, પાર્ટીના આંતરિક પરિવર્તન માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી દીધી છે.
નવ સ્ટેપમાં નિમણૂકો અને અભિપ્રાયની પ્રક્રિયા
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એક કેન્દ્રીય નિરીક્ષક અને ચાર ગુજરાતના નિરીક્ષકોની ટીમો બનાવી દેવામાં આવી છે. આ ટીમો 23 એપ્રિલથી 8 મે દરમિયાન ગુજરાતના જિલ્લાઓની મુલાકાત લેશે અને સ્થાનિક આગેવાનો તથા કાર્યકરોના અભિપ્રાય લેશે. 10 દિવસમાં પ્રથમ રિપોર્ટ તૈયાર કરીને, 45 દિવસની અંદર એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પુરી કરાશે.
‘અંદરોઅંદર નહીં, ભાજપ સામે સ્પર્ધા કરો’ – રાહુલની ટકોર
સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “અંદરોઅંદર રાજકારણ નહીં ચાલે, હવે સીધી સ્પર્ધા ભાજપ સાથે જ કરવી છે.” તેમણે કોંગ્રેસમાં રહેલા ‘રેસ’ અને ‘જાન’ના ઘોડાઓને અલગ કરવાની કવાયત પણ શરૂ કરવાનું કહ્યું.

મજબૂત નેતાઓને જવાબદારી – યોજનાબદ્ધ દિશામાં દોડ
કોઈપણ જાતિ, જૂથ કે કાસ્ટના આધારે નહીં, પરંતુ કાર્યક્ષમ અને લોકપ્રિય નેતાઓને જ સ્થાન આપવામાં આવશે. જો યોગ્ય કામગીરી કરવામાં આવશે તો તેમને ટિકિટથી લઈને મંત્રિમંડળ સુધી સ્થાન મળવાની ખાતરી પણ રાહુલ ગાંધીએ આપી. કોંગ્રેસ હવે માત્ર બે-પાંચ લોકોના સંગઠન તરીકે નહીં, પણ સૈંકડો કાર્યકરો આધારિત મજબૂત ઢાંચા તરીકે સ્થાપિત થવાનો માર્ગ પસંદ કરી રહી છે.
મોડાસામાંથી શરૂ થશે પાયલટ પ્રોજેક્ટ
16 એપ્રિલે રાહુલ ગાંધી મોડાસામાં સંગઠન અભિયાનનો પ્રારંભ કરશે જ્યાં તેઓ જિલ્લા સ્તરના 1200 બૂથ લીડરોને માર્ગદર્શન આપશે. સંગઠનની આ નવી અભિયાનની પાયલટ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે, જેને આખા દેશમાં અમલમાં મૂકવાની યોજના છે.
ભૂમિકા ન બજાવનાર નેતાઓને ટિકિટ નહીં
કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા હવે ઉમેદવારોની પસંદગીમાં માત્ર ‘હાઇકમાન્ડ’ નહીં, પરંતુ જિલ્લા પ્રમુખો અને સ્થાનિક માળખાને પણ મહત્વ આપવામાં આવશે. કાર્યકરોની વચ્ચે રહેતા અને સતત પાર્ટી માટે કામ કરતા વ્યક્તિઓને ટિકિટ મળશે, જ્યારે માત્ર ચૂંટણી સમયે સક્રિય થતા નેતાઓની ગણતરી હવે નહીં થાય.
સંગઠન માટે 5 નામોની પેનલ તૈયાર થશે
દરેક જિલ્લા માટે 5 મજબૂત નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ સ્થાનિક આગેવાનોના અભિપ્રાય અને સ્થાનિક સામાજિક-ભૌગોલિક સમીકરણના આધારે તૈયાર થશે. સાથે જ જિલ્લાના જાગૃત નાગરિકો અને ઉદ્યોગપતિઓ સાથે પણ સંપર્ક સાધીને વિસ્તૃત અભિપ્રાય લેવામાં આવશે.
રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ કાર્યપદ્ધતિ સંકેત આપે છે કે કોંગ્રેસ હવે જૂના ઢાંચાથી બહાર આવી નવી પદ્ધતિ અને જવાબદારી સાથે ભારતીય રાજકીય સમીકરણમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનું વિચારી રહી છે.



