Mid Day Meals : વિધાનસભામાં શિક્ષણમંત્રીની મોટી જાહેરાત: મધ્યાહન ભોજનમાં હવે સિંગતેલનો ઉપયોગ થશે
Mid Day Meals : વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હવે મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલના બદલે સિંગતેલનો ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય બાળકોના સ્વાસ્થ્ય અને કુપોષણની ફરિયાદોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકારે મધ્યાહન ભોજનમાં પોષણક્ષમતાને વધારવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
મધ્યાહન ભોજનનો મુદ્દો વિધાનસભામાં ગરમાયો
વિધાનસભા ગૃહમાં મધ્યાહન ભોજનને લઈને ચર્ચા થઈ હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. બાળક દીઠ થતા ખર્ચ અંગે માહિતી આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકો માટે ભોજન ખર્ચ ₹8.19 છે, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ₹11.66 મટિરિયલ કોસ્ટ થાય છે.
RTE એડમિશન મુદ્દે પણ ચર્ચા
RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત એડમિશન બાબતે ભાજપના જ ધારાસભ્ય યોગેશ પટેલે સવાલ ઉઠાવ્યો હતો. તેમના દાવા મુજબ, RTE અંતર્ગત વાલીઓને દૂરના શાળામાં એડમિશન આપવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે, શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા આપી કે, વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની કોઈ ફરિયાદ સરકારને મળી નથી, પરંતુ જો આવી કોઈ ફરિયાદ આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં ડ્રાફ્ટ જંત્રી અંગે મોટું અપડેટ
ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલી ડ્રાફ્ટ જંત્રી પર ચર્ચા થઈ હતી. સરકારને 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે, જેમાં 6,000થી વધુ સૂચનો જંત્રી ઘટાડવા માટે, જ્યારે 1,700 જેટલા સૂચનો વધારવા માટે આવ્યા છે. એપ્રિલ 2025થી નવી ફાઈનલ જંત્રી અમલમાં મુકવાની શક્યતા છે. વિધાનસભામાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં ફાઈનલ જંત્રી જાહેર કરાશે અને મુખ્યમંત્રીના સ્તરે અંતિમ નિર્ણય લેવાશે.



