Harsh Sanghvi : “સુધરી જાવ કે જેલમાં જાવ” – વિધાનસભામાં હર્ષ સંઘવીની કડક ચેતવણી, જાણો કોને મળી સખત હાકલ
Harsh Sanghvi : વિધાનસભાના નિયમ-116 હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની માહિતી જાહેર કરી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દર મહિને પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષક અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજાય છે. આ બેઠકમાં સુરતમાં RTI કાયદાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકો પાસેથી રૂપિયા પડાવવાના ગંભીર કેસો સામે આવ્યા હતા. ગુજરાત પોલીસે આ ગુનામાં સંકળાયેલા RTI ગેંગના સભ્યોને ઝડપવા માટે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે RTI કાયદો લોકોમાં જાગૃતતા લાવવા, ભ્રષ્ટાચાર સામે લડવા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો તેનો દુરૂપયોગ કરી રહ્યા છે. રાજ્યભરમાં આવા તત્વો સામે 67 કેસ નોંધવામાં આવ્યા છે, અને આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી થશે. RTI કાયદાનો દુરૂપયોગ કરનાર શખ્સો માટે સંઘવીએ સ્પષ્ટ સંદેશ આપ્યો: “સુધરી જાવ કે જેલમાં જાવ!”
સુરતમાં RTI એક્ટ અને યુટ્યુબના દુરુપયોગથી લોન અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ધમકી આપવામાં આવતી હોવાના કેસો પોલીસ સમક્ષ આવ્યા હતા. આરોપીઓ RTI દ્વારા ખોટી અરજીઓ કરીને નકલી સમાચાર છાપતા અને દબાણ બનાવી પૈસા પડાવતા. આ ગેંગ સામે 41 ગુનાઓ દાખલ થયા છે, જેમાં RTI દ્વારા છેતરપિંડીના 24 અને ન્યૂઝના દબાણ દ્વારા નાણાં પડાવવાના 17 કેસોનો સમાવેશ થાય છે.
હર્ષ સંઘવીએ રાજ્યભરમાં આવા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે અને જનતાને આવી ગેંગની જાણકારી મળી આવે તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવાની અપીલ કરી છે.



