Gujarat Urban development: ગુજરાત સરકારનો વિકાસલક્ષી નિર્ણય: રાજ્યની 69 નગરપાલિકાઓ અપગ્રેડ થશે, શહેરીજનો માટે વધશે સુવિધાઓ!
Gujarat Urban development: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત માટે આપેલા સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારે મોટો નિર્ણાયક પગલુ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેનાથી શહેરીજનોને વધુ સુવિધાસભર જીવન જીવવાની તક મળશે.
વિકાસલક્ષી અભિગમ સાથે નગરપાલિકાઓનું અપગ્રેડેશન
ગુજરાતમાં ઝડપથી વધતી જનસંખ્યા અને શહેરી વિસ્તરણને ધ્યાને રાખીને સરકાર દ્વારા નગરપાલિકાઓમાં આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અપગ્રેડેશન પછી નગરપાલિકાઓમાં સુવ્યવસ્થિત શહેરી સેવાઓ ઉપલબ્ધ થશે, તેમજ વિકાસલક્ષી પ્રોજેક્ટોને વધુ પ્રોત્સાહન મળશે.
આ રીતે નગરપાલિકાઓને અપગ્રેડ કરાઈ
અપગ્રેડેશન અંતર્ગત, 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગ નગરપાલિકાઓમાં 21 નગરપાલિકાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. 50 હજારથી 1 લાખ વસતિ ધરાવતી બ-વર્ગ નગરપાલિકાઓમાં 22 અને 25 હજારથી 50 હજાર વસતિ ધરાવતી ક-વર્ગ નગરપાલિકાઓમાં 26 નગરપાલિકાઓ ઉમેરીને તેમના શહેરી વિકાસને વેગ આપવા પ્રયાસ કરાયો છે.
જિલ્લા મથકો અને યાત્રાધામ નગરપાલિકાઓને પ્રાધાન્ય
જિલ્લાના મુખ્ય મથકોમાં આવેલા ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ અને રાજપીપળાની નગરપાલિકાઓને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોર જેવી ધાર્મિક અને પ્રવાસન દ્રષ્ટિએ મહત્વની નગરપાલિકાઓ પણ અપગ્રેડેશનમાં સામેલ કરવામાં આવી છે.
વડનગરને પણ અપગ્રેડનો લાભ
2500 વર્ષ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વડનગરને પણ અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ બદલાવ વડનગરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મહત્વ આપશે.
નગરપાલિકાઓના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ
આ અપગ્રેડેશન અંતર્ગત નગરપાલિકાઓના આંતરમાળખાકીય વિકાસ, વિસ્તરણ, આગવી ઓળખ અને નગર સેવાસદન માટે સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
અ-વર્ગ નગરપાલિકાઓ માટે રૂ. 28 કરોડ
બ-વર્ગ નગરપાલિકાઓ માટે રૂ. 22 કરોડ
ક-વર્ગ નગરપાલિકાઓ માટે રૂ. 15.5 કરોડ
ડ-વર્ગ નગરપાલિકાઓ માટે રૂ. 10 કરોડ
આ રીતે કુલ રૂ. 2882 કરોડના વિકાસ કામો માટે ભંડોળ ફાળવવામાં આવશે, જેનાથી નગરપાલિકાઓમાં શહેરી સુવિધાઓમાં મોટો સુધારો થશે અને ગુજરાતના વિકાસની યાત્રા વધુ ગતિશેીલ બનશે.