Government Job Vacancies: ગજબની તક! ગુજરાતમાં 2 લાખથી વધુ નોકરીઓની જાહેરાત, જાણો ભરતીઓની સંપૂર્ણ વિગતો!
Government Job Vacancies: ગુજરાત વિધાનસભામાં 2025-26 માટેની સામાન્ય વહીવટ વિભાગની બજેટીય માંગણીઓ મંજૂર કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જાણકારી આપતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પારદર્શક અને અસરકારક વહીવટ માટે કટિબદ્ધ છે. આ બજેટ હેઠળ વહીવટી સુધારણાઓને વેગ આપીને નાગરિક સુવિધાઓ વધારવાની યોજના છે.
અગામી દાયકામાં 2 લાખથી વધુ ભરતી યોજાશે
મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર આગામી દસ વર્ષ માટે એક સંકલિત ભરતી કેલેન્ડર તૈયાર કરી રહી છે. આ કેલેન્ડર અનુસાર, આગામી દાયકામાં કુલ 2,06,991 સરકારી જગ્યાઓ ભરવાની યોજના છે, જે રાજ્યના યુવાનો માટે મોટા પાયે રોજગારીના દરવાજા ખોલશે.
મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ થશે
રાજ્યના વહીવટમાં કાર્યક્ષમતા અને નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન નાગરિકો અને સરકાર વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરશે, જેનાથી લોકો સરળતાથી પોતાના પ્રશ્નો અને સૂચનો સરકાર સુધી પહોંચાડી શકશે.
સેવા સેતુ કાર્યક્રમમાં 99.99% અરજીઓનો નિકાલ
મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમની સફળતાની વિગતો આપતાં કહ્યું કે દસમા તબક્કામાં પ્રાપ્ત 17,65,604 અરજીઓમાંથી 99.99% એટલે કે 17,65,595 અરજીઓનો નિકાલ કરાયો છે. આ રાજ્ય સરકારની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી વહીવટ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભાવનગરમાં નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપાશે
રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર પર વધતા ભારને ધ્યાને લઈને ભાવનગરમાં નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે. રાજ્યના વહીવટી તંત્રના તાલીમ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે આ નવી સુવિધા માટે 2025-26ના બજેટમાં રૂ. 2.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
વહીવટમાં સુધારા માટે નવી પંચ રચાશે
રાજ્યના વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ અને તકનીકી દ્રષ્ટિએ આગળ વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે. આ પંચ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કામ કરશે અને વહીવટમાં સુધારા, માનવશક્તિનું યોગ્ય વિતરણ, તેમજ સરકારી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે ભલામણો કરશે.
વહીવટ માટે રૂ. 399.88 કરોડની ફાળવણી
વિધાનસભાએ 2025-26 માટે સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ. 399.88 કરોડની બજેટ ફાળવણી મંજૂર કરી છે. આ નાણાકીય ફાળવણી રાજ્યના વહીવટી તંત્રને વધુ પારદર્શક, ઝડપી અને નાગરિકમૈત્રી બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યના યુવાનો માટે નવી રોજગારીની તકો લાવશે અને વહીવટને વધુ સક્ષમ બનાવશે, જે વિકસિત ભારત@2047ના લક્ષ્યની તરફ એક મોટું પગલું સાબિત થશે.