Garib KalyanAnna Yojana : 76 લાખથી વધુ પરિવારોએ મેળવ્યો લાભ: ગુજરાતમાં આ યોજના બની જીવનરક્ષક, શું તમે પણ લાભ લીધો?
Garib KalyanAnna Yojana : ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરસમી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગરીબ અને વંચિત વર્ગોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. 2020માં, ગરીબ પરિવારોને મફત અનાજ પુરૂં પાડવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે કરોડો લોકો માટે જીવસેતુ બની છે.
ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ યોજનાનું અસરકારક અમલીકરણ કર્યું છે. વર્ષ 2024માં રાજ્યમાં રૂ. 7,529 કરોડના ખર્ચે 21.91 લાખ મે.ટન અનાજ વિતરણ થયું છે, જે ગરીબ પરિવારો માટે મોટો સહારો સાબિત થયું છે.
2028 સુધી લંબાયેલી યોજના, ગરીબ પરિવારોને મળશે મફત અનાજ
કોરોના મહામારી દરમ્યાન શરૂ કરાયેલી PMGKAY યોજના હવે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA)-2013 હેઠળના લાભાર્થીઓને દર મહિને નિશ્ચિત માત્રામાં મફત અનાજ આપવામાં આવે છે:
અંત્યોદય અન્ન યોજના (AAY) કુટુંબોને: દર મહિને 35 કિ.ગ્રા. અનાજ
અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH): પ્રતિ સભ્ય દર મહિને 5 કિ.ગ્રા. અનાજ
ગુજરાતમાં 3.72 કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે, જેમાં 36.40 લાખથી વધુ અંત્યોદય લાભાર્થીઓ અને 3.30 કરોડથી વધુ PHH લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત બજેટમાં NFSA અને પોષણલક્ષી યોજનાઓ માટે મોટો ફાળો
2025-26 ના ગુજરાત બજેટમાં અન્ન પુરવઠા માટે કુલ ₹2,712 કરોડ ફાળવાયા છે.
🔹 મફત અનાજ વિતરણ માટે: ₹675 કરોડ
🔹 તુવેરદાળ અને ચણાના વિતરણ માટે: ₹767 કરોડ
🔹 ખાદ્યતેલ રાહત દરે આપવા: ₹160 કરોડ
🔹 શ્રીઅન્ન (મિલેટ) ખરીદી માટે: ₹37 કરોડ
આ યોજના ગરીબ પરિવારો માટે નાણાંકીય બોજ ઘટાડવાની સાથે પોષણક્ષમ આહાર પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. જો તમે NFSA રાશનકાર્ડ ધારક છો, તો તમારું હક મેળવવાનું ચૂકશો નહીં!