Cyber Fraud RTI Information: સાયબર ફ્રોડ મામલાઓ માટે RTIથી માહિતી મેળવવી શક્ય: માહિતી આયોગે CIDને મળેલી મુક્તિ પાછી લેવા રાજ્ય સરકારને ભલામણ કરી
Cyber Fraud RTI Information: રાજ્ય માહિતી આયોગે સાયબર ફ્રોડ સંબંધિત ફરિયાદોની જાણકારી મેળવવા માટે CID (ક્રાઇમ)ને RTI કાયદા હેઠળ મળેલી મુક્તિ પાછી લેવાની ભલામણ કરી છે. આ નિર્ણયથી રાજ્યના અનેક સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોને પોતાની ફરિયાદ અંગેની કાર્યવાહી વિશે માહિતી મેળવવાની રાહત મળશે.
ગાંધીનગર જિલ્લાના રહેવાસી રાકેશકુમાર પ્રજાપતિ પર લગભગ 4.5 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. તેમણે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અને FIRની નકલ તેમજ કાર્યવાહી અંગેની તમામ જાણકારી માટે RTI અરજી કરી હતી. પરંતુ CID વિભાગ દ્વારા “માહિતી અધિકાર કાયદા હેઠળ મુક્તિ મળ્યા હોવાથી માહિતી ન આપવામાં આવે” એવો જવાબ મળ્યો.
રાજ્ય માહિતી આયોગમાં આ નિર્ણયને પડકારતાં અરજદારે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુનાવણી દરમિયાન, માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે નિરીક્ષણ કર્યું કે, સાયબર ફ્રોડ જેવા ગુનાઓમાં નાગરિકો પોતાના ફ્રોડ થયેલા નાણાંની પરતવળી અને ફરિયાદ અંગેની કાર્યવાહી વિશે માહિતગાર થવા માટે અધિકાર ધરાવે છે.
કમિશનરે જણાવ્યું કે, જ્યારે CIDને RTIથી મુક્તિ આપવામાં આવી છે, ત્યારે તે મૂળભૂત રીતે ગુપ્તતાની જરૂરિયાત માટે છે, પરંતુ સાયબર ફ્રોડ મામલામાં આ મુક્તિનો ઉપયોગ નાગરિકોને માહિતી ન આપવાના માટે કરવામાં આવે તો તે યોગ્ય નથી. આથી CIDને સાયબર ફ્રોડ સંબંધિત માહિતી આપવા માટે RTIની કલમ 24 હેઠળની મુક્તિ પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી છે.
રાજ્ય માહિતી આયોગે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે, ગૃહ વિભાગના 25 ઓક્ટોબર 2005ના નોટિફિકેશન મુજબ CIDને મળેલી આ મુક્તિમાંથી સાયબર ફ્રોડ સંબંધિત મુદ્દાઓને બહાર રાખીને નાગરિકોને તેમની ફરિયાદ સંદર્ભે થયેલી તપાસ અને કાર્યવાહી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે.
આ નિર્ણયથી સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો પોતાની ફરિયાદની તાજી સ્થિતિ જાણી શકશે અને પોલીસ વિભાગ પર પણ જવાબદારી વધશે. આ રીતે માહિતી અધિકાર કાયદાનું સુચારુ અમલ પણ થશે અને નાગરિકોનો વિશ્વાસ પોલીસ પ્રણાલીમાં વધશે.