Congress Party Strategy : કૉંગ્રેસે પાયાના સ્તરે સંગઠન મજબૂત કરવા કમર કસી, 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હીમાં બોલાવ્યા
Congress Party Strategy : દેશભરમાં કોંગ્રેસ પાર્ટી સતત ચૂંટણી પરાજયનો સામનો કરી રહી છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તા બહાર રહેલી કોંગ્રેસે તાજેતરના લોકસભા ચૂંટણીમાં પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. સમગ્ર દેશમાં સળંગ ત્રણ લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેમજ અનેક રાજ્યોમાં છેલ્લા 10-15 વર્ષથી સરકાર બનાવી ન શકતા, હવે પાર્ટી હાઈકમાન્ડ નવા સંગઠન બંધારણ અને રણનીતિ પર કામ કરી રહ્યું છે.
પાર્ટીને પાયો મજબૂત કરવાની તૈયારી
લોકસભા ચૂંટણી 2024 અને હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસે સંગઠનનું પુનર્ગઠન શરૂ કર્યું છે. આ સંદર્ભે, 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હીમાં તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા સ્તરે પાર્ટીની સ્થિતિ, કાર્યો અને ભૂતકાળના પરાજયોની સમીક્ષા થશે.
આ બેઠક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની આગેવાની હેઠળ ત્રણ બેચમાં યોજાશે, જ્યાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉપાયોની ચર્ચા થશે. આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ સંગઠનને ગાઢ બનાવવાનું હાઈકમાન્ડનું લક્ષ્ય છે.
ગુજરાતમાં સંગઠન સુધારવાનો પ્રયાસ
તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ પણ સંગઠન સુધારણાના સંકેત આપ્યા હતા. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે હવે જથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં યોજાયેલી એક સભામાં રાહુલ ગાંધીએ જાહેરમાં ઘોષણા કરી હતી કે, “પાર્ટીમાં જે ગદ્દારો છે, તેમને હટાવવામાં આવશે.”
આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે, હાઈકમાન્ડ કોંગ્રેસને પાયાના સ્તરે મજબૂત કરવા અને વફાદાર કાર્યકર્તાઓને મહત્વ આપવા માટે કાર્યરત છે. ગુજરાત અને દેશભરમાં પરાજય બાદ, હવે શું આ નવી રણનીતિ કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે? તે આવનારો સમય જ બતાવશે.