Ahmedabad Sabarmati Bridge: અમદાવાદમાં સાબરમતી નદી પર 367 કરોડના ખર્ચે 6 લેનનો પુલ, જાણો ખાસિયતો
Ahmedabad Sabarmati Bridge: અમદાવાદમાં સાબરમતી નદી પર 367 કરોડના ખર્ચે 6 લેનનો પુલ બનાવવામાં આવશે, જે ગુજરાતનું પ્રથમ “રબર બેરેજ કમ બ્રિજ” હશે. 1.04 કિમી લાંબો અને 1048.08 મીટર લંબાઈ ધરાવતો આ પુલ પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ) સાથે જોડાશે. પુલની ડિઝાઇન રાજ્ય સરકારના આર એન્ડ બી વિભાગની મંજૂરી માટે પ્રગતિ પર છે. આ પુલ રિવરફ્રન્ટ રોડ સાથે એપ્રોચ બ્રિજ મારફતે જોડાશે, જેનાથી સાબરમતીથી એરપોર્ટ સુધી પહોંચવું વધુ સરળ બનશે. પ્રોજેક્ટનું બાંધકામ એપ્રિલ 2027 સુધીમાં પૂરુ થવાની શક્યતા છે.
પુલની ડિઝાઇન મુજબ મધ્ય ભાગ 126 મીટર લોખંડની કમાનથી બનેલો હશે, જ્યારે બાજુઓ 42 મીટર લાંબા સસ્પેન્ડેડ કમાનથી જોડાશે અને બાકીના ભાગમાં પ્રિ-સ્ટ્રેસ્ડ બોક્સ ગર્ડર ટોચનું માળખું હશે. પુલ પર 6-લેનનો રસ્તો અને 3-મીટર પહોળો ફૂટપાથ હશે, જે ટ્રાફિકથી અલગ રહેશે જેથી રાહદારીઓ સાબરમતી નદીનું દૃશ્ય નિહાળી શકે.
આ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અંતર્ગત આવે છે, જેમાં નદીના બંને કાંઠે બેરેજ કમ બ્રિજ અને 10-મીટર પહોળા લોક ગેટ બનાવવામાં આવશે, જે જળ પરિવહન માટે અનુકૂળ રહેશે. બેરેજની ઊંચાઈ 3.5 મીટર હશે અને તે ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, સાબરમતીથી ગાંધીનગર સુધી પાણીનું સ્તર જાળવવામાં આવશે અને મહત્તમ 144.25 ફૂટ પાણી સંગ્રહ શક્ય થશે.

દક્ષિણ કોરિયાની યોઇલ એન્વાયરોટેક પ્રા. લિ. દ્વારા રબર બેરેજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે રોડ નેટવર્ક અને સ્ટ્રીટલાઇટનું કામ રાજકમલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવશે.
આ પુલ ટ્રાફિક સમસ્યાઓમાં મોટી રાહત આપશે, કારણ કે તે કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ) થી સાબરમતી ટોરેન્ટ પાવર સ્ટેશન (BRTS) સુધી સીધો માર્ગ બનાવશે. સાબરમતી, ચાંદખેડા, મોટેરા અને હાંસોલ જેવા વિસ્તારોમાંથી એરપોર્ટ જવાનું વધુ સરળ બનશે. રાજ્યમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ થકી કનેક્ટિવિટીમાં વધારો થશે અને અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવો વેગ મળશે



