Rath Yatra Ahmedabad: રથયાત્રા માર્ગ પર પોલીસની બુલેટ પેટ્રોલિંગ અને કોમી એકતા માટે અનોખી તજવીજ
Rath Yatra Ahmedabad: 27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાશે. આ ઉત્સવની સફળ અને સુરક્ષિત આયોજન માટે આજ રોજ પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરાયું હતું. આ બુલેટ માર્ચમાં 100 કરતા વધુ પોલીસ કર્મીઓ, જેમાં PI અને PSI પણ શામેલ હતા, બુલેટ બાઇક પર રથયાત્રા માર્ગ પર પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા.
બુલેટ માર્ચની શરૂઆત જગન્નાથ મંદિરથી થઈ, જ્યાં સેક્ટર 1ના જીસીપી અને મંદિરના મહંતે લીલી ઝંડી બતાવી પોલીસને માર્ગદર્શન આપ્યું. પેટ્રોલિંગ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થઈ અને પોલીસ કર્મીઓ જમાલપુર, ખાડિયા, પંચકૂવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર અને માણેકચોકના માર્ગ પરથી ફરી જગન્નાથ મંદિર પર પહોંચ્યા.

ઝોન 3ના ડીસીપી વિશાખા ડબરાલે જણાવ્યું કે આ પેટ્રોલિંગ દ્વારા રથયાત્રાના તમામ સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિ નજરે પડે તો તાકીદે તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. તેઓએ કહ્યું કે, રથયાત્રા માર્ગ પર કોઇ પણ પ્રકારની સુધારાની જરૂરિયાત જણાય તો તે તરત પૂર્ણ કરાશે.
પોલીસ બુલેટ માર્ચ બાદ એકતા જાળવવા માટે વિવિધ સમુદાયોને એકત્રીત કરીને ક્રિકેટ મેચ પણ યોજશે. ઉપરાંત, રથયાત્રા પહેલા ફૂટ પેટ્રોલિંગ અને મીટીંગો દ્વારા લોકજાગૃતિનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિ અને સલામતી સાથે યોજાઈ શકે.



