Manrega Scam Gujarat: મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડનું નિવેદન – ‘અમારું કામ માત્ર સપ્લાયનું’
Manrega Scam Gujarat: દાહોદ જિલ્લામાં થયેલા મોટા મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ બાદ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. કૌભાંડ સંબંધિત તપાસ દરમિયાન મંત્રીના નાના પુત્ર કિરણ ખાબડ સહિત ચાર આરોપીઓને ગઇકાલે પકડવામાં આવ્યા છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ કિરણ ખાબડ અને TDO રસિક રાઠવાને ચાર દિવસ તથા APO દિલીપ ચૌહાણને 10 દિવસના પોલીસ રિમાન્ડ ફાળવાયા છે.
બચુ ખાબડનું નિવેદન: “અમે વેપારી છીએ, કામ વગરના આક્ષેપ છે”
પ્રથમવાર મૌન તોડી મંત્રી બચુ ખાબડએ મીડિયા સામે નિવેદન આપતાં જણાવ્યું કે, “મારા દીકરાઓ મટીરિયલ સપ્લાયનો ધંધો કરે છે, કોઇ સરકારી કામની ઓર્ડર મેળવેલી નથી. અમે ઓપન માર્કેટમાં પણ સામાન વેચીએ છીએ. લેબર સપ્લાયમાં અમારી એજન્સીની ભૂમિકા નથી. કોંગ્રેસ સતત ખોટા આક્ષેપ કરી રહી છે. ન્યાય પ્રણાળી પર અમને પૂર્ણ ભરોસો છે.”
તપાસનો વ્યાપ વધ્યો: વધુ આરોપીઓ પોલીસના જાળમાં
જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડમાં અત્યારસુધી કુલ 11 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તાજેતરમાં દાહોદના TDO રહેલા આર.એન. રાઠવા, એજન્સી માલિક પાર્થ બારિયા અને APO દિલીપ ચૌહાણ પણ પોલીસના હાથે પકડાયા છે. ધાનપુરના બીજાં એક અધિકારી ભાવેશ રાઠોડને માંગરોળથી ઝડપી દાહોદ લાવવામાં આવ્યા છે.
71 કરોડ રૂપિયાનું કૌભાંડ, 2021થી 2025 વચ્ચે ગેરરીતિઓ
પોલીસ તપાસ મુજબ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 2021થી 2025 વચ્ચે મનરેગા યોજના હેઠળ હજારો કામો ફક્ત કાગળ પર દર્શાવવામાં આવ્યા હતા. નકલી જોબકાર્ડ, ખોટી એન્ટ્રીઓ અને બિનગુણવત્તાવાળું કામ દર્શાવીને સરકારી નાણાંની ભ્રામક રીતે ઉઠાંતરી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં 300થી વધુ ચેકડેમો કાગળ પર બતાવી 16 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો છે.
વધુને વધુ એજન્સીઓ સામે તપાસ શરુ
આ દરમ્યાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 35થી વધુ એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે. તેમ છતાં, હજુ સુધી એજન્સી ચલાવનારા દરેક પ્રોપ્રાયટરોના નામો જાહેર કરાયા નથી. મંત્રીના પુત્રોની સંડોવણી ધરાવતી “રાજ કન્સ્ટ્રક્શન” અને “રાજ ટ્રેડર્સ” એજન્સીઓ કથિત રીતે કૌભાંડના કેન્દ્રમાં હોવાનું સામે આવ્યું છે.
સરકારના ઝીરો ટોલરન્સ વચન સામે પડકાર
આ સમગ્ર ઘટનાએ રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે. જોકે સરકાર તરફથી ઝડપાયેલા આરોપીઓ સામે કડક પગલાં ભરીને ભ્રષ્ટાચાર સામે સાફ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.