QR code for death certificate: મરણ પ્રમાણપત્ર માટે દફતર જવાની જરૂર નહીં – સ્મશાનમાં જ મળશે ડિજિટલ દસ્તાવેજ!
QR code for death certificate: અમદાવાદ શહેરના નાગરિકો માટે હવે મરણનો દાખલો મેળવવા માટે વારંવાર સરકારી કચેરીઓના ફેરા ન લગાવવાનું એક નવીન પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ સ્મશાનગૃહોમાં હવે QR કોડ લગાવવાની યોજના અમલમાં મુકવામાં આવી રહી છે.
શું મળશે ફાયદો?
જો કોઈ વ્યકિતનું અવસાન થાય છે તો તેના પરિવારજનો આ સ્મશાનગૃહમાં મૂકાયેલા QR કોડને સ્કેન કરીને મૃતકની વિગતો દાખલ કરી શકશે. પરિણામે, ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે હવે વોર્ડ ઓફિસના ઘણા ચક્કરો ફરવાનો પ્રશ્ન નહીં રહે.
કેમ કરશે કામ QR કોડ?
આ ક્યૂઆર કોડ દ્વારા મૃતકના સબંધીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન પેજ પર જઈ શકશે. ત્યાંથી તેઓ જરૂરી ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં સંપૂર્ણ વિગતો ભરશે અને આધાર જેવી ઓળખપત્રની નકલ સાથે તેને પોતાની વોર્ડની જન્મ-મરણ નોંધણી ઓફિસમાં જમા કરાવી શકે છે.

ડેથ સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન માટે સમય મર્યાદા શું છે?
જો મૃત્યુ નોંધણી 21 દિવસની અંદર કરવામાં આવે, તો તે વોર્ડ ઓફિસમાંથી જ થઈ શકે છે.
જો નોંધણી 21 દિવસથી વધુ અને 1 વર્ષની અંદર થાય છે, તો AMCના જન્મ મરણ વિભાગના મુખ્ય કચેરીમાં જ જઈને નોંધણી કરાવવી પડશે.
હોસ્પિટલમાં મૃત્યુ થયેલ હોય તો?
AMC દ્વારા વધુમાં જણાવ્યું કે, જો મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય, તો હોસ્પિટલ દ્વારા જ મૃતકની માહિતી ઑનલાઈન સિસ્ટમ દ્વારા AMC સુધી પહોંચાડવામાં આવે છે.
આ નવી કામગીરીના કારણે નાગરિકો માટે ડેથ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સરળ, ઝડપી અને પારદર્શક બની જશે. ગુજરાતમાં ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે.



