Salangpur Hanuman Temple Celebration : સાળંગપુરમાં હનુમાન જયંતીની ધામધૂમથી આયોજન: હજારો ભક્તોની હાજરીમાં આરતી અને 250 કિલો કેક કટિંગ
Salangpur Hanuman Temple Celebration: ચૈત્ર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે, સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય હનુમાનજયંતીની ઉજવણી હાથ ધરાઈ. શનિવારના શુભ સંયોગે દાદાના જન્મોત્સવની ઉજવણી દરમિયાન ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિનો અદભૂત સમન્વય જોવા મળ્યો.
ભવ્ય સંધ્યા આરતી અને ભક્તિ સંગીતનો ઝળહળતો કાર્યક્રમ
સાંજના સમયે મંદિર પરિસરમાં આરતી દરમિયાન હજારો ભક્તોએ પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને દાદાની આરતી ઉતારી. આરતી બાદ ‘જય જય શ્રીરામ બોલેગા’ જેવી ધૂન પર ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. સમગ્ર વાતાવરણ ‘જય શ્રીરામ’ના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

250 કિલો કેક અને 51,000 બલૂનથી સ્વાગત
દાદાના જન્મદિવસ નિમિત્તે મંદિર પરિસરમાં 250 કિલોગ્રામ કેક કાપી ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે 51,000 રંગબેરંગી બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત પણ કરાયું.
વહેલી સવારે મંગળા આરતી અને દાદાનો દિવ્ય શણગાર
સવારના 5 વાગ્યે મંગળા આરતી સાથે ઉત્સવની શરૂઆત થઈ. 7 વાગે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર અર્પણ કરવામાં આવ્યો. આ સમયે દર્શનાર્થે આવેલા હજારો ભક્તોએ શ્રદ્ધાથી દાદાના દર્શન કર્યા.

અન્નકૂટ અને સમૂહ યજ્ઞ
બપોરે 11 વાગે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જેના દર્શનથી ભક્તો ધન્યતા અનુભવતા રહ્યા. આ ઉપરાંત, 50થી વધુ પૂજારી ભુદેવો દ્વારા સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો, જેમાં 1000થી વધુ હરિભક્તોએ ભાગ લીધો.
3000થી વધુ સ્વયંસેવકો કાર્યરત
ભીડ અને વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે 3000થી વધુ સ્વયંસેવકો તત્પર રહ્યા. બહારગામથી આવેલા ભક્તો માટે રહેવા, જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરાઈ હતી.
ભાવુક અનુભવ
સુરતથી આવેલા ભક્ત નેહાબેને જણાવ્યું, “હું અહીં પ્રથમવાર આવી છું અને દાદાનો જન્મદિવસ ઊજવવાનો અનુભવ જીવનભર યાદ રહે તેમ છે.”



