2.3 C
London
Saturday, November 22, 2025

Gujarat: ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને ગામડા સમૃદ્ધ બને એ જ સાચો વિકાસ માર્ગ

Gujarat ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને ગામડા સમૃદ્ધ બને એ જ સાચો વિકાસ માર્ગ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ

ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂ. ૫૦,૦૦૦ વધારાની સહાય આપશે

– વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતમાં વધુ ૫,૯૫૦ સ્વસહાય જૂથોની રચના કરાશે

SAHAS યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે ગેરન્ટર બનશે

મનરેગા હેઠળ આગામી વર્ષે કુલ ૫૧૬ લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. ૪૭૦૦.૦૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

Gujarat વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને ગામડા સમૃદ્ધ બને એ સાચો વિકાસ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મૂળમંત્ર સાથે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.

એ જ પાયા પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ગ્રામ વિકાસની મજબૂત ઇમારત ઊભી કરી છે, તેમ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું. તેઓ વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને “પોતાના સ્વપ્નનું ઘર” પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યના ૨.૨૪ લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં રૂ. ૧૨૨૬.૭૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ બાંધકામ માટે આપવામાં આવતી રકમ રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂ. ૫૦,૦૦૦ સહાય પૂરી પાડવામાં આવશે. જેના માટે પણ બજેટમાં રૂ. ૫૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી હળપતિએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ ગત વર્ષે જંગલ વિસ્તારમાં વસતા ૩,૨૮૮ આદિવાસી પરિવારોને આવાસની મંજૂરી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અને પ્રધાનમંત્રી આદિજાતી ન્યાય મહાઅભિયાન મિશન યોજનાના પ્લોટ વિહોણા લાભાર્થીઓને રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની પ્લોટ સહાય માટે રાજ્ય ભંડોળમાંથી આપવામાં આવશે, તેના માટે બજેટમાં રૂ. ૩૦ કરોડની જોગવાઇ કરાઇ છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડાઓમાં વસતી બહેનોને સ્વનિર્ભર બનાવવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યભરમાં ૮,૩૬૨ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ ૫,૯૫૦ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવશે.

ગત વર્ષે રાજ્યના ૯,૭૮૪ સ્વસહાય જૂથોને રૂ. ૨૯.૧૨ કરોડનું રીવોલ્વીંગ ફંડ, ૧૨,૯૭૨ સ્વસહાય જૂથોને રૂ. ૧૫૧.૦૯ કરોડ કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ તેમજ ૭૭,૫૫૨ સ્વસહાય જૂથોને રૂ. ૧૩૯૨.૩૦ કરોડની કેશ ક્રેડિટ અપવવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વસહાય જૂથોમાં બેંક લોનનું પ્રમાણ વધારવા માટે સ્કીમ ઐમ્ડ એટ હોલિસ્ટિક આસીસ્ટન્સ ટુ સખીસ (SAHAS) યોજના હેઠળ સ્વસહાય જુથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે જ ગેરન્ટર બનશે. જેના માટે બજેટમાં રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

મનરેગા અંગે મંત્રી હળપતિએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યના ૮.૪૩ લાખ પરિવારોના ૧૨.૧૩ લાખ શ્રમિકોને કુલ ૩૮૬.૭૨ લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી છે. આગામી વર્ષે રાજ્યના શ્રમિકોને કુલ ૫૧૬ લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. જેના માટે રૂ. ૧૧૨૯.૦૫ કરોડ બજેટ જોગવાઇ કરવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મનરેગા યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, જવાબદારી અને સમયસર ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ જોબકાર્ડ, એરિયા ઓફીસર એપ્લીકેશન, નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ, GIS આધારિત આયોજન, સ્વતંત્ર સામાજિક ઓડિટ યુનિટ, લોકપાલ, ડ્રોન દ્વારા નિરીક્ષણ જેવી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. ૪૭૦૦.૦૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img